વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૫ વર્ષની ભવ્ય અને સમર્પિત જનસેવા યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય નાણાં મંત્રી કમલેશ પટેલ અને રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢથી “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત બાઇક રેલીનું ફ્લેગ ઓફ કરીને શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે રાજ્ય નાણાં મંત્રી કમલેશ પટેલ જણાવ્યું હતું કે,શક્તિપીઠ પાવાગઢથી ‘જનસેવાથી રાષ્ટ્રસેવા’ અને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યાત્રાનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે અને તેમના રાષ્ટ્રસેવા તથા જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે શક્તિપીઠ પાવાગઢ (મહાકાળી ધામ) થી વડનગર (હાટકેશ્વર ધામ) સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પ્રચારકથી પ્રધાનસેવક સુધીની તેમની યાત્રા અને જન-જનની સુખાકારી માટે કરેલા કાર્યોને યાદ કરી, આગામી સમયમાં પણ આવી જ રીતે સેવાના કાર્યો થતા રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે.
વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે,ગુજરાત યુવા મોરચાના યુવાનો દ્વારા પાવાગઢ, અંબાજી, સોમનાથ અને ઉનાઇ જેવા ધાર્મિક સ્થાનોથી પ્રસ્થાન કરી આ યાત્રાઓ વડનગર પહોંચશે, જ્યાંથી વારાણસી (વિશ્વેશ્વર ધામ) સુધી આગળ વધશે. પ્રધાનમંત્રી નુ આયુષ્ય લાંબુ અને સ્વસ્થ રહે, તેઓ વિકસિત ભારતના નિર્માણમાં સતત યોગદાન આપતા રહે અને દેશવાસીઓને તેમની સેવાનો લાભ મળતો રહે તેવા શુભ સંકલ્પ સાથે આ યાત્રાનું પ્રસ્થાન કરાયું છે,તેમ મંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, આ ચાર દિવસીય યાત્રા દરમિયાન રૂટ પર આવતા ગામોમાં રક્તદાન કેમ્પ, વ્યાપક સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવી વિવિધ જનહિતકારી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.
આ યાત્રામાં ૨૫ થી ૩૦ બાઇક સ્વાર, એક સુસજ્જ LED વાન અને એક પવિત્ર કળશ રથ જોડાયા હતા. યાત્રાના માર્ગમાં આવતી પવિત્ર નદીઓનું જળ આ કળશમાં એકત્રિત કરીને બાબા કાશી વિશ્વનાથ મહાદેવનો ભવ્ય જળાભિષેક કરીને રાષ્ટ્ર કલ્યાણની પ્રાર્થના કરવામાં આવશે.આ ઉપરાંત LED વાન મારફતે વડાપ્રધાનશ્રીના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાત અને ભારતે સાધેલી વિકાસની અભૂતપૂર્વ યાત્રાની ઝાંખી ગામે-ગામ રજૂ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છેકે, પંચમહાલ જિલ્લામાં શક્તિપીઠ પાવાગઢ થી શરૂ થયેલી બાઇક રેલી હાલોલ , મધવાસ ચોકડી,
કાલોલ,ખડકી ગ્રામ પંચાયત થઈને ગોધરાથી પસાર થઈ હતી.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ,હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,જિલ્લા અગ્રણી મયંક દેસાઈ સહિત સંગઠનના અગ્રણીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
