(કાજર બારીઆ)
છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તથા જિલ્લા ભાજપના મહામંત્રી રમણભાઈ બારીયાએ રાઠવા સમાજ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ જાહેરમાં માફી માંગી છે. આ મુદ્દે રાઠવા સમાજના આગેવાનો દ્વારા અગાઉ કદવાલ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રમણભાઈ બારીયાનો એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઓડિયોમાં રાઠવા સમાજ અંગે કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીને કારણે સમાજની લાગણી દુભાઈ હોવાનું જણાવાયું હતું. ઓડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં રાઠવા સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ ઘટનાને પગલે રાઠવા સમાજના આગેવાનો એકત્રિત થઈ કદવાલ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી રમણભાઈ બારીયા સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ સમગ્ર મામલે આજે કદવાલ ખાતે રાઠવા સમાજના આગેવાનો અને રમણભાઈ બારીયા વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રમણભાઈ બારીયાએ પોતાની ટિપ્પણીથી રાઠવા સમાજની લાગણી દુભાઈ હોવાનું સ્વીકારી, થયેલી ભૂલ બદલ દિલગીરી વ્યક્ત કરી અને સમાજની જાહેરમાં માફી માંગી હતી.
બેઠક દરમિયાન બંને પક્ષોએ સામાજિક સૌહાર્દ અને પરસ્પર સન્માન જળવાઈ રહે તે માટે સંવાદ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
