પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ભાટ-શિવરાજપુર માર્ગ પર શનિવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં લુણાવાડાના એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. પૂરઝડપે દોડી રહેલી ટ્રાવેલ્સ લક્ઝરી બસે બાઇકને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસનો ચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લુણાવાડાના મુનપુર ગામના વતની આદિત્ય યોગેશભાઈ ભાટિયા હાલ અરાદ ગામે પોતાના સગાં-સંબંધીના ઘરે રહેતા હતા. તેઓ પોતાના મિત્ર મિત પટેલ સાથે બાઇક પર બોડેલી ખાતે અંગત કામસર ગયા હતા. કામ પૂર્ણ કરીને બંને પરત ફરી રહ્યા હતા ત્યારે ભાટ અને શિવરાજપુર વચ્ચે પૂરઝડપે આવી રહેલી ટ્રાવેલ્સ બસે તેમની બાઇકને આડવેરે બીલી,હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક ચલાવી રહેલા આદિત્ય ભાટિયાને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓ એટલી ગંભીર હતી કે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા તેમના મિત્ર મિત પટેલને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને તેઓ સદનસીબે બચી ગયા હતા.
અકસ્માત બાદ માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો તેમજ અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માત સર્જાયા બાદ ટ્રાવેલ્સ બસનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે બસચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. સાથે જ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.આ કરૂણ અકસ્માતના સમાચાર મળતાં મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બીજી તરફ સ્થાનિકોમાં પણ બેફામ ઝડપે દોડતાં ભારે વાહનો સામે રોષ જોવા મળ્યો છે.
સ્થાનિકોએ આવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન કરાવવાની માંગ ઉઠાવી છે.
